તા. 7-4-17 ને શુક્રવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકાદશી હોવાથી કશું જમાડ્યું ન હતું. ભૂખ્યા રહેવાને કારણે તેઓનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હતું.

     એ દિવસે રાત્રે 8:00 વાગ્યે ચેષ્ટાના સમયે પ.પૂ. સ્વામીશ્રીએ વાસણા અમદાવાદ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના સ્વાસ્થ્યની ક્ષેમકુશળતા જાણવા ફોન કર્યો.

     પૂ. સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના સ્વાસ્થ્યના સમાચાર પ.પૂ. સ્વામીશ્રીને આપતા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂ. સંતોને પૂછ્યું, “કોનો ફોન છે ?”

     “બાપજી, એ તો સ્વામીશ્રીનો ફોન છે.”

     “શું કહે છે ?”

     “એ તો આપના સ્વાસ્થ્ય બાબતે પૂછે છે.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રસન્નવદને સૌ સંતોને કહ્યું, “સ્વામી અમારી ખૂબ ચિંતા રાખે છે. સ્વામી તો સ્વામી જ છે. સ્વામીની શું વાત !  સ્વામી સૌનું ‘મા’ની જેમ જતન કરે છે. એક પળ પણ અમને ગૌણ થવા દેતો નથી. અમને સ્વામીની રુચિ-અનુજ્ઞામાં રહેવું ગમે.”

     પ.પૂ. સ્વામીશ્રી સાથે પૂ. સંતની ફોન પર વાત પૂર્ણ થઈ.

     તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂ. સંતોને કહ્યું, “સંતો ! તમે સૌ સ્વામીની આજ્ઞામાં રહેજો. સ્વામી કહે એમ કરવું તો સ્વામી રાજી થાય. સ્વામી રાજી એટલે અમે પણ રાજી.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજી, પ.પૂ. સ્વામીશ્રી ઉપર અપાર રાજીપો જણાવી, સંતો-ભક્તોને પણ તેમનો ખૂબ મહિમા સમજાવે છે અને રાજી કરવાની ભલામણ કરે છે.