“બાળમુક્તો, હવે ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તમે બધા શાલ-સ્વેટર ઓઢો છો ને ???”

“હા, મહારાજ.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. ૨૦૧૦માં ડિસેમ્બર માસમાં સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાર્થના મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા હતા ત્યારે ગુરુકુલના બાળમુક્તો પ્રતિ માતૃવાત્સલ્ય સ્નેહ વરસાવતાં પ્રશ્ન પૂછ્યો હતો.

ત્યારબાદ પૂ. સંતોને પૂછ્યું, “બધા બાળમુક્તોને સવારે ગરમ પાણીની વ્યવસ્થા છે ને ? રાત્રે ઓઢવા માટે બ્લેન્કેટ (ધાબળા) છે ને ? કોઈ વિદ્યાર્થી પાસે ન હોય તો આપજો.”

મા બાળકને પ્રેમ પણ આપે અને શિસ્તમાં પણ વર્તાવે એમ ગુરુજી બાળમુક્તોને સ્નેહસાગરમાં ડુબાડવા છતાં નાની બાબતમાં શિસ્તનો ભંગ કરતા જુએ તો અચૂક ટકોર કરે જ.

શણગાર આરતી પૂરી થયા બાદ ગુરુજી સંત આશ્રમમાં પધાર્યા અને બાળમુક્તો શાળાએ જવા નીકળતા હતા. એ વખતે એક મિલન નામના બાળમુક્ત શાલ ઓઢી શાળાએ જતા હતા. તેમને ગુરુજી સંત આશ્રમના ઝરૂખામાંથી જોઈ ગયા.

તેથી તેમણે બાળમુક્તને તુરત ઊભા રાખી પૂછ્યું, “તમારો શાળાનો ડ્રેસ તો મરૂન સ્વેટર છે. વળી, શર્ટિંગ તથા ટાઈ ફરજિયાત છે તો તમે શાલ ઓઢીને કેમ જાવ છો ? આપણે મહારાજ, બાપા, બાપજીના શિષ્ય છીએ ત્યારે નાની સરખી શાળાકીય શિસ્તનો ભંગ પણ શા માટે કરવો ? જાવ, આપ અત્યારે જ ઉપર જઈ શર્ટિંગ કરી ને સ્વેટર પહેરી પછી સ્કૂલે જજો.”