એક દિવસ કોઈ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને નિષ્ઠાની જ વાત આવે છે. નિયમની-વર્તમાનની મનુષ્યજન્મની કંઈ પણ વાત કરતા હોય પરંતુ નિષ્ઠા-ઉપાસનાની વાત તો આવે, આવે અને આવે જ !તો તેનું કારણ શું ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી જે શ્રીજીમહારાજની નિષ્ઠા-ખુમારીથી ખમીરવંતું સ્વરૂપ છે તે ખીલ્યા વગર રહી શકે ખરા ?

 તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજી ખુમારીપૂર્વક બોલ્યા કે, “પણ મને તો શ્રીજીમહારાજે સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો પરવાનો લઈને મોકલ્યો છે. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તાવવાની સેવા મહારાજે અમને સોંપી છે. અમારા જીવનમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની જ નિષ્ઠા છે. ‘નિષ્ઠા એક નાથની બીજું નવ જોઈએ.’- તો પછી બીજી વાત અમે કેમ કરીએ ? એક મૂળો ખાધો હોય તોપણ ઓડકાર મૂળાના જ આવે તો અમારા રૂંવાડે રૂંવાડે મહારાજની સર્વોપરી નિષ્ઠા-સિદ્ધાંતો વણાઈ ગયાં છે તો અમારી વાતમાં મહારાજ સિવાયની વાત આવે જ ક્યાંથી ?”

સર્વોપરી ઉપાસના-નિષ્ઠાની વાત કરવાની આવે તો તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીનો રજમો જ બદલાઈ જાય. ખુમારી ખીલી ઊઠે અને પાવર વધી જાય.

ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં આવાં ખુમારીભર્યાં દર્શન અને વાણી સાંભળતાં હરિભક્ત તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના પરભાવના વ્યક્તિત્વમાં ખોવાઈ ગયા અને બોલી ઊઠ્યા કે, “ખરેખર ગુરુવર્ય પ.પૂ. બાપજીની સિદ્ધાંત માટેની ખુમારી અડગ છે !!!” માત્ર હેતવાળા સંતો-હરિભક્તો જ નહિ; અન્ય જે કોઈ જુએ તેને પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સિદ્ધાંતની ખુમારીનું નૂર સ્પર્શી જતું.