તા. 21-10-2018 ને રવિવારના રોજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મહેસાણા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. જેમાં સવારે 9 વાગ્યાથી રવિસભાનું આયોજન હતું.

     સભાના પ્રારંભે કીર્તનભક્તિ બાદ સંત પ્રવચન 9:15 વાગ્યે ચાલુ થઈ ચૂક્યું હતું. પ.પૂ.સ્વામીશ્રીની કથાવાર્તાનો પ્રારંભ 9:45 વાગ્યે થવાનો હતો. તેથી પૂ.સંતોએ કહ્યું,“દયાળુ, આપ 9:45 વાગ્યે જ સભામાં પધારજો.”

     તે સંતને વિશેષ આગળ બોલતાં અટકાવીને તરત પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,

     “સ્વામી, આપણે મિનિસ્ટર થોડા છીએ કે, સભામાં–પ્રોગ્રામમાં સંખ્યા થાય પછી જ જવાનું. આપણે તો પાંચ હોય તોય કથા કરવાની હોય. પ.પૂ.બાપજીએ એક હરિભક્ત હોય તોપણ કથાવાર્તા કરી છે. તો આપણે એમની આગળ શું કહેવાઈએ ? આપણે તો કથાવાર્તા કરવાની જ હોય ને ! પ.પૂ.બાપજીની રીતને આપણે આપણી કરવી જોઈએ.

     અને બીજું અત્યારે કથાવાર્તા તો શરૂ થઈ જ ગઈ છે તો ત્યાં જઈને જ બેસીએ. મને પણ પૂ.સંતોનો લાભ મળે.”

     આ રીતે પૂ.સંતોને પોતાનો અભિગમ જણાવી પ.પૂ.સ્વામીશ્રી સભામાં પધાર્યા સાથે પૂ.સંતો પણ પધાર્યા.