ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે કથાવાર્તાનું સદાવ્રત.

 કથાવાર્તા વિના તેમને ઘડીએ ન ચાલે. તેઓ રોજ જુદા-જુદા વારે અલગ અલગ સેન્ટરમાં લાભ આપવા માટે પધારતા.

 તા. ૨૬-૧૨-૨૦૧૩ ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપવા પધાર્યા હતા.

 એ વખતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ પ્રાર્થના મંદિરમાં હાજર હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી ગાડીમાંથી પધારી પગથિયા ચઢીને અંદર પધાર્યા. તેઓએ પ્રાર્થના મંદિરમાં પધારતાંની સાથે જ સૌપ્રથમ મહારાજનાં દર્શન કર્યા.

 ગુરુદેવ પ.પૂ. બાપજીના આસનની બાજુમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઊભા હતા. તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે પડેલા ગ્રંથો તથા અન્ય વસ્તુને જોઈ ચેક કરતા હતા કે બાપજીને શું શું જોઈશે ? તે બધું હાજર તો છે ને ? ત્યાં વચનામૃત, બાપાની વાત બધું હતું. પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજીના આસનની બાજુનો ટેબલ ફેન બંધ હતો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બે-ત્રણ વખત તેને ચાલુ કરવા માટે “બાપજીનો પંખો ચાલુ કરો, પંખો ચાલુ કરો !” કહેતા તેઓ જ પોતે જાતે પંખો ચાલુ કરવા માટે અડધા ઊભા થઈ ગયા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ઊભા થયેલા જોઈ એક સમર્પિત મુક્ત ઝડપથી ઊભા થઈ તરત પંખો ચાલુ કરી દે છે.

ધન્ય છે ! એ દિવ્યપુરુષને કે સાચું શિષ્યત્વ સાર્થક કરી ગુરુના અવરભાવના જતનની અલૌકિક રીતનાં દર્શન કરાવ્યા !