સત્સંગ કેન્દ્રનું ઉદ્ઘાટન, હરિભક્તોના ઘરે મહાપૂજા, પધરામણી, રસોઈના પ્રોગ્રામોની હારમાળા સાથે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ પંચમહાલ ઝોન ખાતે હતું.

તા. 29, 30, 31 ઑગસ્ટ, 2021 એમ ત્રિ-દિવસીય વિચરણમાં સતત વ્યસ્ત પ્રોગ્રામોની વચ્ચે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ STKના અને છાત્રાલયના મુક્તોને ગૌણ ન કર્યા. તેમને આગવો લાભ આપવા તા. 30મીના રોજ સભાનું આયોજન કર્યું હતું.

સભામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો, “મુક્તો, પધરામણી દરમ્યાન કઈ બહુ મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવી જોઈએ ?”

તેના પ્રત્યુત્તર રૂપે સૌએ જુદી જુદી વાત કરતાં જણાવ્યું, “હરિભક્તની ક્વોલિટી સામે નજર રાખવી.” કોઈએ કહ્યું, “આપણને પધરામણીનો હેતુ ક્લીયર રહેવો જોઈએ.” જ્યારે બીજાએ કહ્યું, “પધરામણીમાં જઈએ ત્યારે હરિભક્તનો પરિચય-હેત થવું જોઈએ.”

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તમે બધાએ કહ્યું તે સાચું પણ પ્રતિલોમભાવમાં રહીને પધરામણી કરવી. પધરામણી કરતાં કરતાં મૂર્તિને ભૂલવી નહીં. આ વાતનું નિરંતર અનુસંધાન રાખવું.”

કારણ સત્સંગના સંવર્ધકોની ગળથૂથીમાં જ કારણરૂપ થઈ સર્વે કાર્ય કરવાની રીતના પીયૂષ પાઈ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કારણ સત્સંગના પાયા પાતાળમાં ખોડી સમૃદ્ધ કરી રહ્યા છે.