“સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ જ સમજાવું છું કે જીવનશૈલી સાદી રાખવી.”

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી મુંબઈ એક કંપનીના ચૅરમૅનને ત્યાં પધરામણીએ પધાર્યા ત્યારે તેઓએ ઉપરોક્ત વાત કરી.

ગુરુજી તેઓની વાત સાંભળી રાજી થઈ ગયા. ચૅરમૅને આગળ વાત કરતાં કહ્યું, “સ્વામીજી, મારો દીકરો ૮૦ લાખ રૂપિયાની ગાડી વાપરે છે. મારે આઠ લાખ રૂપિયાની ગાડીથી ચાલે છે. છતાંય અમારે બંનેને ઑફિસ પહોંચતા સરખો જ સમય લાગે છે. હું ૮૦૦ રૂપિયાની ઘડિયાળ વાપરું છું. મારો દીકરો ૮૦,૦૦૦ રૂપિયાની છતાંય સમય તો બંને સરખો જ બતાવે છે.” 

“તમે આટલી મોટી પોસ્ટ પર છો છતાંય આવી જીવનશૈલીથી ચાલે ?” ગુરુજીએ સહસા જ પૂછી લીધું.

“હા સ્વામીજી, ભલે બધા મને મોટો માને છે પરંતુ હું તો મારી જાતને નાનો જ માનું છું એટલે મને કોઈ તકલીફ પણ નથી પડતી અને શરમ પણ નથી આવતી.”

આમ, ગુરુજી ચૅરમૅનશ્રીની સાદી જીવનશૈલી જોઈ ખૂબ રાજી થઈ ગયા.