સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય.

ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું. 

પૂ. સંતોને એમ થાય કે ગુરુજીને ટાઢું નથી જમાડવું તેથી એવું કહ્યું, “દયાળુ, કંઈ નથી વધ્યું.”

થોડી વારે ગુરુજી જમાડીને પત્તર ઘસીને આવ્યા ત્યારે પૂ. સંતો ઠંડી ભાખરી જમાડતા હતા. તે ગુરુજીના ધ્યાનમાં આવ્યું. તરત ગુરુજીએ પૂ. સંતોને પ્રેમભરી મીઠી ટકોર કરી, “સંતો, તમારો ઇશક સાચો છે કે અમને ટાઢું જમવા નથી આપવું તેથી તમે નથી એમ કહી ખોટું બોલ્યા પણ સંતો સાચા ને શુભ હેતુ માટે પણ કદી ખોટું ન બોલવું. આજે સારી બાબત માટે બોલાયેલ નાનું અસત્ય કાલે મોટા અસત્ય તરફ લઈ લઈ જાય માટે કદી અસત્યનો સહારો ન લેવો.”

સત્યતાનો નક્કર રણકાર ગુરુજીના અવરભાવી જીવનમાં નિરંતર પડઘાતો આવ્યો છે.