ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ મુક્તો ઉપર આશિષ વરસાવતાં હસ્ત મસ્તકે મૂકતા હતા. એમાં એકાએક એક મુક્તનું કાંડું ઝાલી કહ્યું, “અલ્યા ! તું માંદો છે કે શું ? તને તાવ આવ્યો લાગે છે.” પેલા મુક્તરાજ તો બે હસ્ત જોડી દંગ જ બની ગયા કે મેં તાવ આવ્યાની વાત કોઈને નથી જણાવીને ગુરુવર્ય પ.પૂ. બાપજી તો મને સ્પર્શતાં જ માંદગીને જાણી ગયા.મુક્તરાજ વિચારતા હતા ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને બોલાવ્યા ને કહ્યું, “આ માંદો પડ્યો છે માટે એની સારવાર કરાવો. ” અને તે સમર્પિત સેવકને ઓરો બોલાવી કહ્યું, “તારે તમતમાર જે જમવું હોય તે સંતોને કહેજે ને ટાઇમે ગોળી લઈ લેવી.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજી દર્શન આપી ઊભા થયા ને ચાલતાં રસ્તામાં બીજા એક સમર્પિત સેવકને બોલાવી કહ્યું, “પેલો માંદો છે એની ટાણે ટાણે સેવા કરજે; એને તકલીફ ના પડે.”