સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં SMVS સંસ્થાના તમામ પૂ. સંતોનો તા. 14-10-2015 ને બુધવારથી સંત કેમ્પ શરૂ થતો હતો.

સવારે સૌ પૂ. સંતો પ્રાત: ક્રિયા બાદ સમૂહપૂજા કરી શ્રીહરિની મંગળા આરતીનાં દર્શન કરવા પધાર્યા.

નિત્યક્રમ મુજબ સૌ પૂ. સંતો મંગળા આરતી બાદ શ્રીહરિનું મંગળારૂપ ધ્યાન એક આસને સમૂહમાં કરવા લાગ્યા.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી નિત્યક્રમ પ્રમાણે ધ્યાન કરવા શારીરિક તકલીફના કારણે ખુરશી પર બિરાજતા હતા. પરંતુ, આજથી સંત કેમ્પનો પ્રારંભ થતો હતો તેથી સૌ પૂ. સંતો સાથે જ નીચે બેસી ગયા.

સૌ પૂ. સંતોએ પ્રાર્થના કરી : “સ્વામી, આપ ખુરશી પર બિરાજો...”

“સંતો, આજથી સંતોનો કેમ્પ ચાલુ થયો. જેમ સંતો માટે જે શિડ્યૂલ રાખ્યો છે તે પ્રમાણે મારે પણ કરવાનું હોય. કારણ કે હું પણ એક સંત છું.”

“સ્વામી, આપ તો સત્પુરુષ છો...”

“સંતો, જેવું બીજા માટે તેવું જ અમારા માટે... માટે રાજી રહેજો... માટે ચાલો ધ્યાન કરો...”

વાહ... કેટલો બધો અસ્તિત્વનો પ્રલય... કે હું બધાય સંતોનો ઘડવૈયો છું. ગુરુ સ્થાને છું એનો પણ વિચાર નહીં. કેટલી દાસત્વભાવની પરાકાષ્ઠા કહેવાય !