“મહારાજ ! આ દાદો તો રોજ પૂછ્યા કરતો કે, ‘મહારાજ ક્યારે આવશે ?’ અમે એનું મન મનાવવા કહીએ કે, ‘આજે આવશે.’ એટલે તે ફોઈ પાસે, તેની મા પાસે જાય અને કહે, ‘સારી રસોઈ બનાવો. મહારાજ આજે આવશે.’ પછી ડેલીએ બેસીને આપની રાહ જુવે. એક વાગે એટલે ‘મહારાજ તો ન આવ્યા.’ તેને તેમ બોલતો જોઈને ફોઈની આંખમાંથી આંસુ પડી જાય. પછી દાદો કહે, ‘મહારાજ માટે રસોઈ કરી હોય તો લાવો; ઠાકોરજીને ધરાવીને સાધુઓને આપી આવું.’ ”  

એભલબાપુ એકધારું બોલ્યે જતા હતા.

અક્ષરઓરડીએ મહારાજનાં દર્શનાર્થે આવેલ ઉત્તમખાચર મહારાજે પોતાની પાસે બેસાડેલા. ત્યારે બાપુની વાત સાંભળતાં સાંભળતાં મહારાજ દાદાની સામું જોતા જતા હતા. દાદાખાચર પણ મહારાજ સામું જ સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. મહારાજ તેમના વાંસા ઉપર હાથ ફેરવતા હતા. પછી બાપુએ કહ્યું, “મહારાજ ! તેની મા અને તેની ફોઈ તેને કહે, ‘દાદા ! ઠાકોરજીને ધરાવેલી પ્રસાદી તું જમી લે.’ ત્યારે દાદો તરત કહેતો, ‘એ તો સાધુને જ આપવાની. આપણે તો મહારાજનાં દર્શન ન થાય ત્યાં સુધી રોટલા ને દાળ જ જમવાનાં.’ ”

આ સાંભળતાં જ મહારાજે દાદાખાચરને ઊંચકી લીધા. પોતાના ખોળામાં બેસારી દીધા. તેમને માથે હાથ ફેરવતાં મહારાજ બોલ્યા, “બાપુ ! આ તમારો દાદો તો તમારું ઘર ઉજાળશે, ગામની દિશ ઉજાળશે, દેશ અને પરદેશમાં ગવાશે એવો એ ઉત્તમ ભક્ત છે. તેનું ઉત્તમ નામ ખરેખર તે સાર્થક કરશે.”

આ સાંભળી એભલબાપુની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં, ભગવાને દીકરો આપ્યો પણ દી વાળે એવો દીકરો આપ્યો !