તા. ૨૦-૧૨-૧૫ના મંગળકારી દિને ડભોલી મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.” આ આશીર્વાદમાં ઘરધણીમુક્ત જીતુભાઈ માધુભાઈ પટેલનાં માતુશ્રી આવી ગયાં હતાં.

ખાખરિયાના મણિપુરા ગામનાં રહેવાસી ૭૦ વર્ષના રૂખીબેન માધુભાઈ પટેલ જેઓ બિનસત્સંગી હતાં. સ્વામિનારાયણ ભગવાનની કોઈ ઓળખાણ નહિ કે આસ્થા પણ નહીં. ચા-છીંકણીના અતિ બંધાણી હતાં. જીવનમાં કદી ભગવાનના નામની પાંચ માળા પણ નહોતી કરી. પરંતુ કુટુંબીજનોના આગ્રહને વશ થઈ તેઓ સુરત મૂર્તિપ્રતિષ્ઠામાં આવ્યાં અને આશીર્વાદના સહભાગી થયાં હતાં.

તા. ૨૨ના રોજ તેઓ સુરતથી પોતાને ગામ મણિપુરા આવ્યાં. તેમને થોડી શ્વાસની તકલીફ થવાથી દવાખાને બે દિવસ દાખલ કર્યાં. તેમને સારું લાગતાં ડૉક્ટરની રજા લઈ ઘરે લાવ્યાં.

 તા. ૨૮મીએ વહેલી સવારે ૩:૦૦ વાગ્યે રૂખીબાએ બૂમ પાડી તેમના ભાઈના દીકરાને નજીક બોલાવ્યો અને કહ્યું, “જો આ સ્વામિનારાયણ ભગવાન અને જીતુના ગુરુજી મને લેવા આવ્યા છે. હું જઉં છું... જય સ્વામિનારાયણ.” કહેતાં તેમણે આંખો મીંચી દીધી.

આ બાજુ તેમના ભત્રીજા પ્રકાશભાઈ પટેલના ઘરનાં હંસાબેન સ્વામિનારાયણ ધામ પર AYP કૅમ્પમાં લાભ લેવા આવ્યાં હતાં. તેમને ૨૮મીએ સાંજે ખબર પડતાં તેઓ સીધા કડી ગયા અને ત્યાંથી તેઓ સવારે મણિપુરા જવા નીકળવાના હતા.

કડી મુકામે રાત્રે ૧૨:૩૦ વાગ્યે તેઓ સૂતા અને થોડી જ વારમાં તેમને સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સાથે રૂખીબાનાં પણ દર્શન થયા.

 હંસાબેને પૂછ્યું, “બા, તમે કેમ આટલાં ખુશ છો ?”

ત્યારે રૂખીબાએ કહ્યું, “મને મહારાજ અને સ્વામીશ્રી તેડવા આવ્યા હતા. મને ખૂબ મૂર્તિનું સુખ આવે છે તેથી ખૂબ આનંદ થાય છે.”

હંસાબેનને રૂખીબા બિનસત્સંગી હોવાથી સંશય રહેતો કે તેમનું કલ્યાણ થશે કે કેમ ? તો જેમ અલૈયાખાચરના જેહલાએ પહોંચ્યાનાં પરમાણાં આપ્યાં હતાં તેમ રૂખીબાએ હંસાબેનને મહારાજે તેમને મૂર્તિના સુખમાં જ રાખી લીધાં છે તેનો પુરાવો આપ્યો.

બિનસત્સંગી હોવા છતાં કોઈ સાધન કે દાખડા વગર માત્ર આશીર્વાદમાં આવનારનું આવું આત્યંતિક કલ્યાણ કરવું એ ફદલનો માર્ગ છે જે આજે શ્રીજીમહારાજે મોટાપુરુષ દ્વારા સહજમાં ચલાવ્યો છે.