ગુરુદેવ પ.પૂ. બાપજીએ જ્ઞાનસત્રમાં સૌ હરિભક્તોને કથાવાર્તાના અખાડા ચલાવી ખૂબ સુખિયા કર્યા. સૌને ખૂબ ભર્યા કર્યા હતા, ત્યારબાદ સૌને દર્શનદાન આપી સંત આશ્રમમાં ઠાકોરજી જમાડવા રસોડામાં પધાર્યા. જ્યારે જ્યારે તેઓ રસોડામાં પધારતા ત્યારે સર્વેને સહેજે સહેજે આનંદ પમાડતાં દૃષ્ટિ આપતા, સૌને કેવી રીતે કરકસર કરવી, શેમાં કરકસર કરવી તેવી દૃષ્ટિ આપતા. આજે ગુરુદેવ પ.પૂ. બાપજી રસોડામાં પધાર્યા હતા ત્યારે તેઓએ પૂ.મહિમાસ્વામીને પૂછ્યુ, “બધું બરાબર તો ચાલે છે ને ?”

                  પ્લેટફોર્મ પર વધેલા ભાત જોઇને ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું કે, “બપોરના ભાત વધે તો સાંજે તેને વઘારી વાપરી નાખવા. અને સાંજના રોટલા વધે તો સવારે વઘારી દેવા પણ ઠાકોરજીની વસ્તુનો દુર્વ્યય ન કરવો.” નાની નાની બાબતમાં પણ દૃષ્ટિ આપી. અને સૌનું ઘડતર કરે. આહાહા... ગુરુદેવ પ.પૂ. બાપજી આપની કેવી વિશાળ દ્રષ્ટિ ! પોતાના સંતોને ઘડવાનો કેવો આગ્રહ !