વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીની રમણભૂમિ એટલે વાસણા મંદિર. ગુરુદેવ પ.પૂ. બાપજીએ  ૩૨ વર્ષ રહીને તે ભૂમિને પોતાના અવરભાવની હયાતી દરમ્યાન સેવા આપી હતી.

                 એક વખતની વાત છે. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાના આસને પોઢ્યા છે. મધ્યરાત્રિએ બે વાગે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીનાં નેત્ર ખૂલ્લાં અને લઘુ કરવા જવું પડે તેવું જણાવ્યું. ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે પૂ. સિદ્ધાંતસ્વામી પોઢ્યા હતા. તેઓ જાગી ન જાય તેવી રીતે અવાજ કર્યા વગર ધીમે રહીને બાથરૂમ ખોલીને લઘુ કરી આવ્યા.  જોડેવાળા સંતની એકદમ આંખ ખૂલી ગઈ. તેઓ જાગી ગયા. ગુરુદેવ પ.પૂ. બાપજીને જાગેલા જોઈ તેઓ ઊભા થઈ ગયા. ગુરુદેવ પ.પૂ. બાપજીને સંતે કહ્યું, “બાપજી, રાજી રહેજો. મારી આંખ મીંચાઈ ગઈ હતી. મને જગાડ્યો હોત તો !”

                “સ્વામી, રાજી રહેજો. તમે થાકી ગયા હતા એટલે તમને જગાડ્યા નહીં.” વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સૌની, નાનામાં નાનાની ચિંતા રાખતા. પોતે તકલીફ વેઠતા પણ અન્યને તકલીફ ક્યારેય ન આપતા.