દેવળા ગામના ભક્ત હરખશાએ પત્રમાં કહેવડાવ્યું છે કે, મહારાજ, તમે ગયા વર્ષે બે હજાર મણ તુવેર ખરીદાવી હતી તે ગઢડે મગાવી લો. દુકાળમાં ચોરીની બહુ બીક રહે છે.” લાધા ઠક્કરની વાત સાંભળી શ્રીહરિ હસ્યા.

કેવા ભક્ત છે આ ?! એમના જ પૈસાની તુવેર એમના માટે રખાવી તોય અમારી માને છે.’ શ્રીહરિ ગણગણતા હતા.

મહારાજ, તુવેર મગાવી લઉં ને ?” લાધા ઠક્કરે શ્રીહરિને પૂછ્યું.

ના... રે... એ તુવેર આપણી નથી; એમની જ છે. ગયા વર્ષે અમે વિસનગર ગયા હતા. તેમની દુર્બળ સ્થિતિ હતી છતાંય હરખશાએ તેમની સ્ત્રીના દાગીના ગીરવે મૂકી અમને લાડુ જમાડ્યા હતા. એ જોઈ અમે કહ્યું, તમે તો માલદાર દેખાવ છો. અમને પાંચસો રૂપિયા આપો. ભગતે બીજા દાગીના ગીરવે મુકાવી અમને પાંચસો રૂપિયા આપ્યા. જેમાંથી અમે રૂપિયે ચાર મણ એવી પાંચસો રૂપિયાની બે હજાર મણ તુવેર લેવડાવી છે. જે એમને દુકાળ પાર પાડવા જ રખાવી છે. હવે તમે કહો એ આપણી કે એમની ??”

વાહ ! ભક્તવત્સલ શ્રીહરિ... તમે કેવી ભક્તોની રક્ષા કરી છે ??